Sunday, 11 November 2012

ભગવાનને પામવા માટે શરણાગતિ અનિવાર્ય

ધર્મજ્ઞાન - મોક્ષદા જાની ભગવાનને આપણે સાકાર સ્વરૂપે પ્રત્યક્ષ ક્યાંય, ક્યારેય જોયા નથી, પણ અણીના સમયે તે મદદ કરે છે. અસંભવને સંભવ બનાવે છે ત્યારે આપણને ચોક્કસ તેમની કૃપાની અનુભૂતિ થાય છે. ભગવાનની જો આપણા પર એક વાર કૃપાદૃષ્ટિ પડી જાય તો જિંદગીની તમામ મુશ્કેલીથી બહુ સરળતાથી મુક્તિ મળી જાય છે અને સુખ, શાંતિ, ઐશ્વર્યની પ્રાપ્તિ કરી શકાય, પણ કૃપાદૃષ્ટિ પ્રાપ્ત કરવાની એક સાદી અને સીધી શરત એ છે કે પાત્રતાનો વિકાસ કરવો અને મન, બુદ્ધિથી સંપૂર્ણ આરાધ્યને સમર્પણ થવું. ભગવાનને માત્ર તેમની સાક્ષાત્ કૃપાથી જાણી શકાય છે, પરંતુ ભગવાનની કૃપા ભક્ત પર ત્યારે જ થાય છે જ્યારે સાધક મન અને બુદ્ધિથી શરણાગતિ સ્વીકારે. જો સાધક મન, બુદ્ધિથી ભગવાનને સર્મિપત ન હોય તો તે ભગવાનની કૃપા નથી મેળવી શકતો. કહેવાતા ધાર્મિક થવાથી કે કોઈ કર્મકાંડ કરી લેવાથી ભગવાનની કૃપાને નથી પામી શકાતી. ભગવાનની કૃપા પામવા માટે કર્મકાંડ અને વિધિવિધાન કરતાં મનની નિર્મળતા વધુ મહત્ત્વની છે. આ વાતને સમજવા માટે નરસૈંયાનું ઉદાહરણ ઉત્તમ છે. નરસિંહ મહેતાએ પ્રભુમાં સંપૂર્ણ સમર્પણભાવ રાખ્યો હતો. તે તેમના નર્મળ અને નિશ્ચલ હૃદયથી જ પ્રભુના પ્રીતિપાત્ર બન્યા હતા. પ્રભુને સોના, ચાંદી, હીરા, મોતીનાં આભૂષણથી ખુશ નથી કરી શકાતા. તેમના હૃદયમાં સ્થાન મેળવવા માટે સદ્ગુણોરૂપી શૃંગાર જ પૂરતો છે. જો સાધકનું મન કામ, ક્રોધ, લોભ, મોહ અને વાસનાથી પર હોય, તેમના મનમાં કોઈ પણ પ્રકારનું છળ-કપટ ન હોય, જે ક્યારેય કોઈને છલતો ન હોય તેવો સગુણી સાધક બહુ સરળતાથી પ્રભુનાં ચરણમાં સ્થાન પામી શકે છે. નરસિંહ મહેતા પાસે કુંવરબાઈનું મામેરું ભરવા માટે ધન-દોલત કંઈ જ ન હતું. સગાં-સંબંધીમાં નાણાકીય મદદ કરી શકે તેવું પણ કોઈ ન હતું. હતું તો એક નિર્મળ મન અને તેમાં ગિરધર પર અડગ શ્રદ્ધા. નરસિંહ મહેતાના સંપૂર્ણ સમર્પણભાવે જ તેમને તારી દીધા. તેમણે તેમની બધી વ્યાધિ આરાધ્યનાં ચરણમાં ધરી દીધી અને નિશ્ચિંત થઈને તેમના ભજનમાં મગ્ન થઈ ગયા. બસ આટલું જ કરવાનું હતું અને ખુદ ભગવાન કુંવરબાઈનું મામેરું ભરી ગયા. હૂંડી સ્વીકારવા શેઠનો અવતાર લઈને આવી ગયા. અહીં કહેવાનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે ભગવાન ભક્તનાં કામ નિશ્ચિતપણે કરે છે, પરંતુ જરૂર છે બધો જ ભાર ભગવાનને સોંપી દેવાની. આપણને ક્યારેક ચોક્કસ વિચાર આવે કે નરસિંહ મહેતા અને મીરાંની જેમ આપણને કેમ ભગવાનની સાક્ષાત્ અનુભતિ નથી થતી? ભગવાન સામે કરગરીને પ્રાર્થના કરવા છતાં કેમ તે આપણી પ્રાર્થના સાંભળતા નથી? આ પ્રશ્નોના ઉત્તર એક જ છે અને તે છે આપણી અંદર સમર્પણનો અભાવ. આપણે પ્રાર્થના તો કરીએ છીએ, પણ અહીં હુંપદ હણાતું નથી, સ્વની સંપૂર્ણ શરણાગતિ જોવા મળતી નથી. જો એક વાર બધું જ તેને સોંપીને નિશ્ચિંત બની જશો તો ચોક્કસ તે તમારી સહાય કરવા દોડી આવશે. જ્યારે બાળક સંસારમાં આવે છે ત્યારે તેની અવસ્થાને જોઈને મા તેના પર કૃપા કરે છે, તેનું પાલન-પોષણ કરે છે. આ જ રીતે સાધક જ્યારે મનના વ્યસનોને ત્યજીને શરણમાં આવે છે ત્યારે જ તેની કૃપાદૃષ્ટિ તેમના પર પડે છે. ભગવાને ગીતામાં કહ્યું છે કે જે મારે શરણે આવે છે તે ભવસાગર તરી જાય છે, કારણ કે જેવી રીતે કોઈ અબુધ બાળકની જવાબદારી તેમની માતા વહન કરે છે તેવી જ રીતે મન અને બુદ્ધિથી જ્યારે ભક્ત ભગવાનના શરણે જાય છે ત્યારે તેની બધી જ જવાબદારી ભગવાન ઉપાડી લે છે. બસ આ કૃપા મેળવવા માટે જરૂર છે આપણી પાત્રતાનો વિકાસ કરવાની અને તેમના હાથમાં આપણા અસ્તિત્વને સોંપી દેવાની. જેવી રીતે વરુણ દેવતાની લાખ કૃપા હોવા છતાં પણ ઊલટા ઘડામાં પાણીની એક બુંદ નથી સંગ્રહ થઈ શકતી તેવી જ રીતે પાત્રતા કેળવ્યા વગર તેમની કૃપા નથી મેળવી શકાતી. મોક્ષદા જાની

No comments:

Post a Comment