"દિમાગ અને દિલમા ફ્કત એટલો જ તફાવત છે, જેટવો ઈનબોક્સ અને ફોનબુક મા, ફોનબુક હજારો મળે છે, પરંતુ ઈનબોક્સમા ફ્કત પોતાના જ હોય છે."
Sunday, 11 November 2012
નવું વર્ષ આપને તથા આપના કુટુંબીજનોને યશસ્વી,ફળદાયી અને નિરામય નીવડે તેવી હાર્દિક શુભેચ્છા
શુભ દીપાવલી
ભારતીય સંસ્કૃતિ પર્વપ્રધાન રહી છે. આપણા દરેક પર્વનું આધ્યાત્મિક તેમજ સામાજિક મહત્ત્વ છે, તો દરેક પર્વનો સંદેશ પણ શુભ સંકેત આપનાર હોય છે. પર્વ જીવનને તેજોમય કરીને ઉન્નત ગતિ કરવાની પ્રેરણા આપે છે. પ્રકાશનું પર્વ દીપોત્સવ પણ તમસો મા જ્યોતિર્ગમય એટલે કે અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનું દિશાસૂચન કરે છે
દીપાવલી શબ્દ દીપ અને આવલીની સંધિ પરથી બન્યો છે. દીપ એટલે દીવો અને આવલી એટલે હારમાળા. દીપોની હારમાળા એટલે દીપાવલી. દરેક તહેવારોની સરખામણીમાં દીપાવલીનું માહાત્મ્ય વધુ છે, તેથી જ દિવાળીને પર્વનો રાજા કહેવામાં આવે છે. દિવાળીની સાથે પર્વની એક હારમાળા શરૂ થઈ જાય છે. વાઘબારસથી લઈને ભાઈબીજ સુધી તહેવાર ચાલે છે. દિવાળી સાથે રામ રાજ્યાભિષેકની કથા જોડાયેલી હોવાથી પણ આ પર્વનું મહત્ત્વ વધી જાય છે. કહેવાય છે કે દિવાળીના દિવસે જ ચૌદ વર્ષના વનવાસને પૂર્ણ કરીને રામચંદ્ર ભગવાન અયોધ્યા આવ્યા હતા. પ્રજાના પરમ પ્રિય રાજા અને અયોધ્યાનું હૃદય કહેવાતા શ્રીરામના આગમનમાં અમાસની અંધારી રાતને લોકોએ ઘીના દીવા કરીને રોશન કરી દીધી હતી. આખીય અયોધ્યા નગરીને ઘીના દીવાથી સુશોભિત કરવામાં આવી હતી અને કાળી અંધારી અમાસ જાણે પૂનમની જેમ રોશનીથી ઝગમગી ઊઠી હતી. રામાયણના સમયથી લઈને આજ સુધી આ દિવસને સમગ્ર ભારત પ્રકાશના પર્વના રૂપમાં મનાવે છે. સત્યની હંમેશાં જીત થાય છે. અંધકાર ઓગળે છે અને પ્રકાશરૂપી પ્રભાત થાય છે એ વિશ્વાસ સાથે જ દીપોત્સવના દીપક ઘરમાં પ્રગટાવવામાં આવે છે અને આ સકારાત્મક વિચારધારા સાથે મનમાંથી હતાશારૂપી અંધકાર દૂર કરીને મનને ઓજસ-તેજસથી સંપન્ન કરવાની પ્રેરણા આપવામાં આવે છે.
દિવાળીના શુભ પર્વનું આધ્યાત્મિક મહત્ત્વ
દીપાવલીની ઉજવણી પાછળ અલગ અલગ કથાઓ અને દૃષ્ટિબિંદુ જોવા મળે છે. આ દિવસે રામ ભગવાન રાવણનો વધ કરીને અયોધ્યા પાછા ફર્યા હતા તે ખુશીમાં રામભક્તો દિવાળીની ઉજવણી કરે છે.
તો કૃષ્ણધારા ભક્તિના લોકોનો મત છે કે કાળીચૌદશ દિવસે જ શ્રીકૃષ્ણ ભગવાને અત્યાચારી રાજા નરકાસુરનો વધ કર્યો હતો. અત્યાચારી નરકાસુરના ત્રાસમાંથી મુક્તિ મળતાં બીજા દિવસે લોકોએ ઘીના દીવા પ્રગટાવીને દિવાળી મનાવી હતી. એક પૌરાણિક કથા અનુસાર સમુદ્રમંથનમાંથી લક્ષ્મી અને ધન્વંતરિ પ્રગટ થયાં હતાં. તેના સંદર્ભે પણ લક્ષ્મીપૂજન કરીને સમૃદ્ધ જીવનની કામના કરવામાં આવે છે. જૈન ધર્મની વાત કરીએ તો તેમના માટે આ દિવસ એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કે ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીનું નિવાર્ણ દિવાળીના દિવસે જ થયું હતું. અમૃતસરના સુવર્ણમંદિરનો શિલાન્યાસ પણ દિવાળીના દિવસે જ કરવામાં આવ્યો હતું. તદુપરાંત શીખ ધર્મના છઠ્ઠા ગુરુ હરગોવિંદ સિંહને દિવાળીના દિવસે જ જેલમાંથી મુક્તિ મળી હતી. આ રીતે શીખ ધર્મના દિવાળીના દિવસે જ બે મહત્ત્વપૂર્ણ ઘટના બની હોવાથી શીખ લોકો માટે પણ આ પર્વનું ધાર્મિક માહાત્મ્ય છે.
નેપાળીઓ માટે આ દિવસ એટલા માટે વિશેષ છે કે દિવાળીના દિવસથી નેપાળી સંવતમાં નવું વર્ષ શરૂ થાય છે. પંજાબમાં જન્મેલા સ્વામી રામતીર્થનો જન્મ અને મહાપ્રયાણ દિવાળીના દિવસે જ થયું હતું. તેઓએ ગંગાતટ પર સ્નાન કરતાં કરતાં ઓમકારના ઉચ્ચારણ સાથે સમાધિ લઈ લીધી હતી. આ રીતે દિવાળીના દિવસે અનેક વિરલ આધ્યાત્મિક ઘટના બની હોવાથી આ પર્વનું ધાર્મિક દૃષ્ટિકોણથી વિશેષ મહત્ત્વ છે.
દિવાળી અને પરંપરા
દરેક પર્વ સાથે પરંપરા જોડાયેલી હોય છે અને આ પરંપરા જ પર્વને જીવંત રાખે છે. દિવાળી પર્વ સાથે અનેક પરંપરા જોડાયેલી છે. પૌરાણિક કથા પ્રમાણે એક એવી માન્યતા પણ છે કે દિવાળીના આગળના દિવસે એટલે કે કાળીચૌદશના દિવસે શ્રીકૃષ્ણ ભગવાને વ્રજવાસીઓને કુદરતી આફતથી બચાવવા માટે પોતાની ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો, તેથી વ્રજવાસીઓ દિવાળીના દિવસે માટી અને ગાયના છાણનો ગોવર્ધન પર્વત બનાવી તેની પૂજા કરે છે, સાથે સાથે આજના દિવસે તેઓ ગાય, બળદને સારી રીતે શણગારે છે અને તેની પૂજા કરે છે. દિવાળીના પર્વ સાથે ચોપડા પૂજન કરવાની પણ બહુ જૂની પરંપરા છે. વેપારીઓ આજના દિવસે ચોપડા પૂજન કરે છે અને નવા ચોપડા ખરીદે છે. દિવાળીના દિવસે વહેલી સવારે અને સાંજે ઘરને દીવાઓથી શણગારવામાં આવે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે તેવી કામના સાથે લક્ષ્મીજીનું ષોડશોપચારે પૂજન કરવામાં આવે છે. તદુપરાંત ઘરના આંગણામાં રંગોળી પૂરવાની પણ બહુ જૂની પ્રથા છે.
દીપાવલીનું પ્રતીકાત્મક મૂલ્ય
આપણા પર્વની એક વિશેષતા એ છે કે દરેક પરંપરા અને પર્વ પાછળ જીવનને ઉચ્ચ સ્તરે લઈ જવાનાં ઉદાત્ત મૂલ્યો હોય છે. દિવાળીનું આધ્યાત્મિક ચિંતન પણ જીવનને પરિષ્કૃત કરવાનો સંદેશ આપે છે. અમાસનો દિવસ અંધકારનો હોવા છતાં પણ આ જ દિવસે આપણે પ્રકાશનું પર્વ દિવાળી મનાવીએ છીએ. અહીં અમાસની અંધારી રાતને ઘીના દીવડાથી રોશન કરવા પાછળ એક પ્રતીકાત્મક મૂલ્ય રહેલું છે. અમાસના દિવસે ઉજવાતી દિવાળી એક જ સંદેશ આપે છે કે બહાર ગમે તેટલો ગાઢ અંધકાર હોય, પણ મનના દીપકને ન બુઝાવા દેવો. બાહ્ય વાતાવરણના અંધકાર સામે આશા, આસ્થા અને સકારાત્મક વિચારધારાનો દીપક હંમેશાં પ્રજ્જ્વલિત રાખવો, જે બહારના અંધકારને પીગળાવી દેશે અને અમાસને પણ આસ્થા અને વિશ્વાસના દીપકથી રોશન કરી દેશે. આ રીતે ઘોર અંધકારમાં આવતી દિવાળીની રાત પણ મુશ્કેલી અને પરિતાપથી ઝૂઝતા માણસને આત્મબળરૂપી દીવો પ્રગટાવીને જ્યોતિ તરફ ગમન કરવા નિર્દેશ કરે છે.
અમાસ અને દિવાળીના સમન્વયને આ રીતે પણ સમજી શકાય. સૂર્ય આત્મા છે, ચંદ્ર મન છે, તેથી અમાસ એક એવી ઘટના છે જેમાં મન એટલે કે ચંદ્ર પૂર્ણ રીતે સૂર્યની (આત્મા)ની નજીક જઈને આત્મરૂપ થઈ જાય છે. આ અવસ્થા જ મનુષ્ય જીવનનું અંતિમ ધ્યેય છે, તેથી અમાસ આધ્યાત્મિક દૃષ્ટિકોણથી મનને આત્મરૂપ બનાવવાની એક વિરલ ઘટનાને દર્શાવે છે. અન્ય ખગોળીય દૃષ્ટિકોણથી સૂર્ય અને ચંદ્રનું નજીક આવવું શુભ નથી હોતું, પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિકોણથી અમાસથી સારું કોઈ પ્રતીક નથી હોતું, જે મનને આત્મા સાથે એકાકાર કરીને આત્મરૂપ બનાવે છે.
દીપાવલીની પૂજનવિધિ
આવનાર વર્ષ સુખ-સમૃદ્ધિથી સભર હોય તેવી કામના માટે લોકો દિવાળીના દિવસે લક્ષ્મીપૂજન કરે છે. જેવી રીતે ચોમાસાની ઋતુમાં વાવેલું બહુ સારી રીતે ઊગી નીકળે છે તેવી રીતે જ દિવાળીના પર્વમાં જો વિધિપૂર્વક અને ભાવ સાથે મા લક્ષ્મીની પૂજા, આરાધના કરવામાં આવે તો મા લક્ષ્મીની આશિષ ઘરને સુખ, સમૃદ્ધિથી ભરી દે છે, તો ચાલો લક્ષ્મીપૂજન વિશેનું વિધિ વિધાન સમજી લઈએ.
લક્ષ્મીપૂજનનું વિધાન
દિવાળીના દિવસે શુભ મુહુર્ત જોઈને ગણેશ, લક્ષ્મી અને સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. ગણેશની સ્થાપના વગર કોઈ પૂજા પૂર્ણ નથી થતી, તેથી સૌ પ્રથમ ગણેશની મુર્તિ અથવા ચિત્રનું સ્થાપન કરીને તેમનું આવાહન કરવામાં આવે છે. ધન અને વૈભવ માટે લક્ષ્મીજીની આશિષ આવશ્યક છે, તેથી મા લક્ષ્મીની સ્થાપના કરવામાં આવે છે. રિદ્ધિ-સિદ્ધિ જ્ઞાન વગર ટકતી નથી, તેથી મા સરસ્વતીની સ્થાપના કરીને ત્રણેય દેવી-દેવતાનું ષોડશોપચારે પૂજન કરવામાં આવે છે. આ સાથે ઘરની તિજોરીમાં પડેલાં સોના, ચાંદીના સિક્કા, મુર્તિ, દાગીના, નોટો વગેરેની પૂજા કરવાનું પણ વિધાન છે. વેપારીઓએ દુકાન પર આ રીતે ગણેશ, લક્ષ્મીની પૂજા કરવી જોઈએ અને પછી ઘરે આ જ રીતે લક્ષ્મીનું પૂજન કરવું જોઈએ.
દિવાળીના દિવસે દીપકની પૂજાનું પણ માહાત્મ્ય છે. આ માટે બે થાળીમાં દીવા રાખો. તેર-તેર દીપક બંને થાળીમાં સજાવો. બધા જ દીવાને પ્રજ્જ્વલિત કરીને અબીલ, ગુલાલ, કંકુ, ધૂપથી પૂજા કરો. દીપકનું ષોડશોપચારે વિધિવત્ પૂજન કર્યા બાદ આ જ દીપકથી ઘરનો ખૂણેખૂણો સજાવો.
આ રીતે દિવાળીના પર્વને મા લક્ષ્મીની આશિષ સાથે શ્રદ્ધાપૂર્વક મનાવો તો ચોક્કસ અમાસની રાતને રોશન કરતો દીપોત્સવ આપના જીવનને પણ તેજોમય કરી દેશે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment